ચિનગારી અને આગ. બેઉ એક જ છે કે અલગ? પરમાત્મા એટલે પરમ આત્મા. આત્મા પણ પરમ જ છે કારણ પરમમાંથી ઉત્પન્ન થતું સર્વ પરમ જ હોવાનું. પ્રકાશથી પ્રકાશ જન્મે તો ફરક શું? હું અપ્રગટમાંથી પ્રગટ થાઉં તો પૂરો કેવી રીતે પ્રગટ થાઉં? અપ્રગટ તો શક્યતાઓની ભરમાર છે… તો એ ક્ષણે અપ્રગટમાંથી જે ‘એક’ પ્રગટ થશે તે અમુક-તમુક ગુણો લઇને પ્રકાશપુંજ તરીકે બહાર આવશે.
સુહાના સફર ઔર યે મૌસમ હઁસી! હું એકાંતમાં..પ્રેમથી છલોછલ.. રચના તો મારે કરવી જ રહી.. તો કરી..
ખેતર, પંખી, કલરવ…. તે કવિતા લખી. હકીકતમાં એ શક્યતા તરીકે પ્રગટી. આપણે એને ઉપજાવી કાઢી.. પ્રકાશપુંજથી પંખી! આજ તો કરામત છે.. મુજમાંથી મુજને જન્માવી ‘મુજ વીતી તુજ વીતશે’ એવું કહી શક્યો.. (હાસ્ય).. તમાશો…ખેલ… સૃષ્ટિ… અખંડ આનંદ… ભયંકર દુ:ખ… એકાંત… સાથ… એક.. અનેક.. વિવિધતા.. સુંદરતા.. સરખી પણ નોખી.. માતા..પિતા.. પુત્ર..હું.. તું.. આપણે ખોવાતા ખોવાતા રમતા ગયા..રમતા ગયા.. કોણ આત્મા.. કોણ પરમાત્મા..કોણ ઇશ્વર..બધુ વીસરી ગયા!
તો હવે પાછું જાવું છે? તો હું આ રહ્યો.. હું તો અહીં જ હતો.. તારી સાથે ને સાથે.. અનંત કાળથી!
દાસ – દુર્જન – દુ:ખી જન – દીન – અમીર – જવાન – પ્રૌઢ – હું – તું – કલ્પના – કાળ – અત્ર તત્ર સર્વત્ર – હું જ છું!